
જર્મનીમાં ફસાયેલી ભારતની દીકરી અરિહા શાહને ભારત પરત લાવવા માટે હવે ભૂલકાઓએ મોરચો સંભાળ્યો છે અને 'બેબી અરિહા કરે પોકાર, મને બચાવો ભારત સરકાર'ના નારા સાથે વ્હારે આવ્યા છે.
લાંબા સમયથી જર્મનીના ચાઇલ્ડ કેર સેન્ટરમાં રહેલી અરિહાને તેના પરિવાર અને માતૃભૂમિ સાથે પુનઃ મિલાપ કરાવવા માટે બાળકોએ ભાવુક થઈને PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરને આજીજી કરી છે.
ભારતની આ દીકરીને ન્યાય મળે અને તે પોતાના દેશ પરત ફરે તે માટે સોશિયલ મીડિયાના વીડિયો મારફત બાળકોએ આક્રોશ અને વિનંતી સાથે સરકારને કહ્યું છે.

અરિહાની વતન વાપસી માટે સરકારને અપીલ જર્મનીના ફોસ્ટર કેરમાં ફસાયેલી ભારતની નાની બાળકી અરિહા શાહને પરત લાવવા માટે હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો એકત્ર થઈને અરિહાની વતન વાપસી માટે ભારત સરકાર અને જર્મન સરકારને અપીલ કરી રહ્યા છે.

'જર્મન ચાન્સેલરની મુલાકાત દરમિયાન PM બેબી અરિહાનો મુદ્દો ઉઠાવે' કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે PM નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે, તેઓ જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન જર્મન ફોસ્ટર કેયરમાં રહેતી ભારતીય બાળકી બેબી અરિહા શાહનો સંવેદનશીલ મુદ્દો ઉઠાવે. આ મામલો એક નિર્દોષ ભારતીય બાળકીના માનવીય, સાંસ્કૃતિક, ભાષાકીય અને સભ્યતાના અધિકારો સાથે સંબંધિત છે તેના પર ભાર મૂકતા ગોહિલે પ્રધાનમંત્રીને અપીલ કરી કે તેઓ આ ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી સંવાદનો ઉપયોગ કરીને અરિહાને ભારત વહેલા પરત લાવવાનું સુનિશ્ચિત કરે.
શક્તિસિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત માટે તેના સૌથી નાના નાગરિકના અધિકારોની મજબૂત પરંતુ કરુણાપૂર્ણ હિમાયત કરવા અને તેણીને તેના વતન પરત લાવવાની એક મહત્વપૂર્ણ રાજદ્વારી તક છે.